સંક્ષેપીકરણ એટલે શું ?
The meaning of an abbreviation
સંક્ષેપીકરણનો અર્થ
કોઈ વ્યક્તિ તમારી સામે કોઈ બાબતની ચર્ચા કરતી હોય, તો તમે ઘણીવાર એ વ્યક્તિને એવું કહ્યું હશે કે, ભાઈ લાંબું લાંબું ના બોલીશ, જે હોય તેનો સાર કહી દેને! આમ લાંબું નહિ પણ ટૂંકું. જેમાં કહેવાનો મુખ્ય હેતુ જળવાઈ રહે છે. સાર એટલે કોઈ પણ લખાણના મૂળ અર્થમાં ફેરફાર કર્યા વગર, મૂળ અર્થની સ્પષ્ટતા જળવાઈ રહે તે રીતે ટૂંકી રજૂઆત.
આપેલા લખાણનો પૂરેપૂરો અર્થ આવી જાય, દરેક મુદ્દાનો સમાવેશ પણ થાય તેવી રીતે ટૂંકમાં રજૂ થયેલ લેખિત અભિવ્યક્તિને સંક્ષેપલેખન/સારલેખન કહી શકાય. આમ પણ તમને કોઈ વક્તવ્ય આપવા માટે અડધો કલાક આપે અથવા તો માત્ર પાંચ મિનિટ આપે તો? તમને અડધો કલાક બોલવાનું સરળ લાગશે, જયારે પાંચ મિનિટ બોલવાનું થોડું મુશ્કેલ લાગશે. કારણ કે પાંચ મિનિટ બોલવા માટે તમારે જે કહેવું છે એ એવી રીતે ટૂંકમાં કહેવું પડશે કે પાંચ મિનિટમાં તમારા વિચારો જણાવી શકો. અહી કશી જ વધારાની વાત કહેવાનો સમય જ તમારી પાસે નથી. સાથે તમારે જે કહેવું છે તેમાંથી કશું રહી ના જાય તે પણ તમારે વિચારવાનું છે. જયારે અડધો કલાક બોલવા માટે કોઈ વિગત વધારાની આવી જશો તો પણ સમયની કોઈ સમસ્યા નહિ નડે. જેમ ટૂંકુ બોલવામાં સાવચેતીની જરૂર છે તેમ સારલેખનમાં પણ સાવચેતી રાખવી જોઈએ.
મોટા ભાગે એવી માન્યતા છે કે સંક્ષેપલેખન એ મૂળ લખાણ કરતાં ત્રીજા ભાગનું હોવું જોઈએ. આમ છતાં, સંક્ષેપના કદનો આધાર સંક્ષેપ કરવાનો હેતુ કે લખાણના પ્રકાર પર કે લેખકની શૈલી પર રહે છે.
સંક્ષેપલેખન માટે ધ્યાનમાં રાખવાની બાબતો
- આપેલ પરિચ્છેદનું એકાગ્રતાપૂર્વક બે-ત્રણ વાર વાંચન કરવું.
- ફકરાનો પૂરેપૂરો અર્થ સમજો . મહત્ત્વના મુદ્દાની અલગ નોંધ કરો.
- તમને જે જે વિગતો ફકરાના મુખ્ય અર્થથી અસંગત કે વધારાની લાગતી
- હોય તેને કરો. જે વિગતો ફકરાના અર્થ સાથે સુસંગત છે તેને જ ધ્યાનમાં લો.
- અવતરણ, ઉદાહરણ, અલંકાર પ્રયોજતાં વાક્યોને દૂર કરો.
- નોંધાયેલા મુદ્દાઓને યોગ્ય રીતે જોડીને સંક્ષેપ કરો.
- સંક્ષેપ સળંગ, સ્પષ્ટ અને સરળતાથી સમજી શકાય તેવો હોવો જોઈએ.
- શક્ય હોય ત્યાં સુધી સારાંશ તમારી ભાષામાં તમારા શબ્દોમાં લખો. ફકરાના મૂળ વાક્યોને લેવાનો આગ્રહ ના રાખો. જરૂર જણાય તો જ ફકરાના મૂળ વાક્યો લો.
- સામાન્ય રીતે સંક્ષેપ મૂળ લખાણથી ત્રીજા ભાગનો હોય છે.
- સંક્ષેપ કરતી વખતે મૂળ લખાણના અગત્યના મુદ્દાઓ આવી જવા જોઈએ.
- તમારું પોતાનું કશું જ ઉમેરશો નહીં. એટલે કે, તમારા પોતાના વિચારો અભિપ્રાયો ના ઉમેરો. ફકરાના વિચારોને અનમોદન આપવા કોઈ અવતરણ ના આપો.
- આખા ફકરાના હાર્દને સમાવી લે તેવા શીર્ષકની પસંદગી કરો.
સંક્ષેપલેખનના સોપાનો
વિષયાભિમુખ : યોગ્ય પ્રયુક્તિ દ્વારા વિદ્યાર્થીઓને સંક્ષેપલેખન માટે તૈયાર કરો.
વિષય નિરૂપણ
પરિચ્છેદની રજૂઆત અને વાચનઃ જે પરિચ્છેદનું સંક્ષેપ કરવાનું છે તે પરિચ્છેદને વર્ગ સમક્ષ શિક્ષક રજૂ કરશે. ત્યારબાદ પોતે એકવાર વાંચી જશે. પછી બેત્રણ વિદ્યાર્થી પાસે તેનું મૌખિક વાંચન કરાવશે. પછી જરૂર જણાય તો વિદ્યાર્થીને મનમાં વાંચવાનું કહેશે.
પરિચ્છેદની ચર્ચા (મુદ્દાની તારવણી): વિદ્યાર્થીઓ પરિચ્છેદનું વાંચન કરી રહે ત્યારબાદ એકાદ-બે પ્રશ્રો દ્વારા શિક્ષક વિદ્યાર્થીઓ પાસેથી પરિચ્છેદનો અર્થ જાણશે.
ચર્ચા દ્વારા જ પ્રશ્નો પૂછીને પરિચ્છેદમાં આવતાં મુખ્ય મુદ્દાની નોંધ કા.પા. પર કરશે. આ માટે પરિચ્છેદમાં આવતાં ઉદાહરણો, રૂઢિપ્રયોગો, અવતરણો વગેરેને છોડી દેશે.
મુદ્દાની ગોઠવણી : પરિચ્છેદમાંથી તારવેલાં તમામ મુદ્દાઓને ક્રમિક-યોગ્ય રીતે સંકલિત કરવાનું શિક્ષક વિદ્યાર્થીને કહેશે. વિદ્યાર્થીઓ અંદરોઅંદર કે શિક્ષક સાથે ચર્ચા કરશે. મુદાને જોડવા માટે જરૂરી શબ્દો, શબ્દસમૂહો, સમાસ વગેરે શોધશે. વિદ્યાર્થીઓની મદદ વડે શિક્ષક મુદ્દાઓની ગોઠવણી કરશે.
મુદ્દાઓની પુનઃ ગોઠવણીઃ એક વાર દરેક મુદ્દાને યોગ્ય શબ્દો દ્વારા ગોઠવ્યા પછી તેનું વાંચન કરવામાં આવશે. આ સમયે થયેલી ભૂલને સુધારવામાં આવશે. કોઈ મુદ્દો બાકી નથી રહી ગયો ને ? તેની ચકાસણી થશે. મુદ્દાઓ ક્રમિક રીતે ગોઠવ્યા છે કે કેમ? મુદ્દાઓની ગોઠવણી હજુ ટૂંકી રીતે કરી શકાય તેમ છે? પિતા વગેરે પ્રશ્નો અંગે પુનઃ વિચારણા કરીને ગોઠવણી કરશે.
આ ગોઠવણીથી પરિચ્છેદના મુખ્ય વિચારને હાનિ નથી પહોંચતી તેની ચકાસણી પણ કરશે.
સંક્ષેપલેખનઃ વિવિધ પ્રકારની ચર્ચા થયા પછી શિક્ષક વિદ્યાર્થીઓને સંક્ષેપલેખન કરવાનું કહેશે.
(નોંધઃ સંક્ષેપલેખનમાં શબ્દસમૂહો, વાક્યાંશ, રૂઢિપ્રયોગ વગેરે મહત્ત્વનાં પરિબળો ગણાવી શકાય.)
શરૂઆતના તબક્કે વિદ્યાર્થીઓ શબ્દસમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરતાં શીખે તે જરૂરી છે. ત્યારબાદ વાક્યને બદલે વાક્યાંશ વાપરતાં શીખવો. પછી શબ્દોને બદલે સામાસિક શબ્દોનો ઉપયોગ કરાવો. સાથે કહેવત કે રૂઢિપ્રયોગ દ્વારા સંક્ષેપ કરાવો. આમ “સરળથી કઠિન તરફ’ લઈ જાઓ. વારંવારના મહાવરા પછી વિદ્યાર્થીઓ આ કામ સરળતાથી કરી શકશે.
સંક્ષેપીકરણના નમૂના
નીચે આપેલા ગદ્યનું સંક્ષેપ કરો.
" સાચી મૈત્રી આશીર્વાદ રૂપ છે. સાચો મિત્ર આપણો હમેશનો સાથીદાર છે. "
આપણ સુખદુઃખમાં તે ભાગીદાર બને છે. આપણને તે સાચા રસ્તે દોરે છે, આપણી સારી બાબતોને કે આપણા ગુણોને તે વખાણે છે અને આપણી ખરાબ બાબતોનો નિર્દેશ કરી આપણને તેનાથી દૂર થવા શિખામણ આપે છે. આપણને અવળે રરને જતાં અટકાવે છે. વિકટ પ્રશ્નોમાં તે આપણને સાચી અને યોગ્ય સલાહ આપે છે, આપણા જીવનમાં તે ઓતપ્રોત થઇ જાય છે. એ રીતે સાચો મિત્ર વિશુદ્ધ અરીસાનું કામ કરે છે. આપણું સાચું પ્રતિબિંબ તે પાડે છે. તે પ્રતિબિબ વિકૃત હોય તો તેને સુંદર બનાવવા પ્રયત્ન કરે છે. મૈત્રીમાં સ્વાર્થ ભાવના ન હોય. સાચા મિત્ર પાસેથી કઈ પણ લેવાની વૃત્તિ હરગીજ ના હોવી જોઈએ, પણ હોય તે આપવાની વૃત્તિ હોવી જોઈએ. ત્યાગભાવના વિનાની મૈત્રી લાંબો સમય ટકતી નથી.
સારાંશ/સંક્ષેપ
સાચો મિત્ર સુખ-દુઃખમાં સાથે રહી સાચી સલાહ આપે છે. અરીસાની જેમ સાચી ઓળખ આપે છે. સાચી પૈત્રીમાં ત્યાગની ભાવના હોય છે ને આવી મરી લાંબો સમય ટકે છે.