શૈક્ષણિક હેતુનો અર્થ અને શૈક્ષણિક હેતુનું મહત્ત્વ
Saiksanik Hetuno Artha ane Saiksanik Hetunum Matatva
પ્રસ્તાવના
બુદ્ધિપૂર્વકનું વર્તન કરતો દરેક વ્યક્તિ હેતપૂર્વકનું વર્તન કરે છે. એટલે કે દરેક વ્યક્તિના વર્તન પાછળ ચોક્કસ હેતુ રહેલો હોય છે. વ્યક્તિ હેતુવિહીન કોઈ વર્તન કરતો નથી. આપણે વાંચીએ,
લખીએ. ટી.વી. જોઈએ, કોઈની સાથે ચર્ચા કરીએ, ઊંઘી જઈએ જેવાં અનેક વર્તનો દિવસ દરમિયાન કરીએ છીએ. આવા દરેક વર્તન પાછળ આપણો કોઈને કોઈ હેતુ રહેલો હોય છે. હેતુવિહીન વર્તન એટલે નિશાની વગર છોડેલું બાણ કહી શકાય.
આપણે કોઈ પણ કાર્ય કે વર્તન શા માટે કરીએ છીએ ? તેનો જે જવાબ મળે તે જવાબ જ તે કાર્ય કે વર્તનનો હેતુ કહી શકાય.
આપણે બાળકોને ગુજરાતી માતૃભાષાનું શિક્ષણ આપીશું. આપણે માતૃભાષાનું શિક્ષણ શા માટે આપીએ છીએ ? માતૃભાષાના શિક્ષણના અંતે બાળકોના વર્તનમાં શું પરિવર્તન આવશે ? શિક્ષણના અંતે શું નીપજશે ? આપણે કેવા પરિણામની અપેક્ષા રાખીએ છીએ ? વગેરે પ્રશ્નોના જવાબ એ જ માતૃભાષા શિક્ષણના હેતુઓ છે. જો લક્ષ્ય વગર ચાલીએ તો વહેલા થાકી જઈએ અને ક્યાં અને ક્યારે પહોંચીશું તે નક્કી હોતું નથી. તેવી જ રીતે હેતુ વગર શિક્ષણ આપીશું તો પણ કેટલું ? કેવી રીતે ? શિક્ષણ આપીને બાળકોના વર્તનમાં ક્યા પરિવર્તન આવશે તે પણ નક્કી નહીં થાય.
દરેક કાર્યમાં હેતુઓનું મહત્ત્વ છે જ. તો શિક્ષણ જેવી જીવંત અને મનોશારીરિક પ્રક્રિયામાં હેતુનું મહત્ત્વ હોય જે સ્વાભાવિક છે. તો મિત્રો, આવો આપણે માતૃભાષાના શિક્ષણના હેતુઓ વિશે શીખીએ.
શૈક્ષણિક હેતુઓનો અર્થ
કોઈ પણ કાર્યના પરિણામની અપેક્ષા એ જ તે કાર્યનો હેતુ કહેવાય. તો માતૃભાષાના શિક્ષણના અંતે આપણે જે પરિણામ-નીપજની અપેક્ષા રાખીએ છીએ તે માતૃભાષા શિક્ષણના હેતુઓ બને છે. ’ શૈક્ષણિક હેતુ અંગે N.C.E.R.T.એ જણાવેલ છે કે,
“હેતુ એવું બિંદુ છે કે જેની દિશામાં કાર્ય કરવામાં આવે છે અથવા હેતુ એવું વ્યવસ્થિત પરિવર્તન છે જે ક્રિયા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.
આમ પ્રવૃત્તિના અપેક્ષિત પરિણામને આપણે હેતુ કહીશું. માતૃભાષા શિક્ષણના અંતે જે પરિણામની અપેક્ષા છે તે માતૃભાષા શિક્ષણનો હેતુ કહેવાય. બાળક વાંચે ત્યારે તે આરોહ અવરોહપૂર્વક હાવ-ભાવ સાથે,
યોગ્ય ઝડપે, વિરામચિહ્નોને ધ્યાનમાં રાખી, પુસ્તકને યોગ્ય રીતે પકડીને વાંચે તેવી બાબતોની અપેક્ષા રાખીએ છીએ. તો તેને આપણે માતૃભાષા શિક્ષણના હેતુઓ કહીશું.
આમ કોઈપણ વિષય શીખવતાં પહેલાં શિક્ષક વિદ્યાર્થીઓ પાસેથી જે અપેક્ષાઓ રાખે છે તે અપેક્ષાઓ એટલે શૈક્ષણિક હેતુઓ. માતૃભાષા શિક્ષણના અંતે જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે માતૃભાષા શિક્ષણના હેતુઓ કહેવાય છે.
શિક્ષણના ઉદ્દેશો (Educational Aims) : એક તાસ દરમિયાન કે ચોક્કસ સમય મર્યાદામાં સિદ્ધ ન થાય, પરંતુ જેની સિદ્ધિ લાંબા સમયગાળા બાદ થાય તેવા સમગ્ર શિક્ષણના હેતુઓને આપણે શિક્ષણના ઉદ્દેશો કે લક્ષ્ય કહીશું. આમ રોજબરોજના શિક્ષણને અંતે નહીં પરંતુ શિક્ષણની સમગ્ર પ્રક્રિયાના અંતે સંતોષાતા પરિણામોને આપણે ઉદ્દેશ કે લક્ષ્ય કહીશું. ઘણીવાર આવા ઉદ્દેશો કે લક્ષ્ય સંપૂર્ણ રીતે સંતોષાતા નથી, પરંતુ વ્યક્તિને તેની નજીક તે તરફ લઈ જાય છે. શિક્ષણના ઉદ્દેશો કે લક્ષ્ય સમગ્ર શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેનો પાયો સમાજ, તત્ત્વજ્ઞાન, વિષયવસ્તુ વગેરે છે. તે વ્યાપક અને અંતિમ સ્વરૂપના છે. સમગ્ર શિક્ષણને અંતે તે સિદ્ધ ન પણ થઈ શકે. ચારિત્ર્ય ઘડતર કરવું, રાષ્ટ્રીય ભાવના ખિલવવી વગેરે ચોક્કસ પ્રકારના ઉદ્દેશો કે લક્ષ્ય છે. શિક્ષણના ઉદ્દેશોને આપણે શિક્ષણના લક્ષ્ય કે શિક્ષણના ધ્યેયો તરીકે પણ ઓળખીશું.
શૈક્ષણિક હેતુઓ : લાંબા સમયગાળાના અંતે સિદ્ધ થતા હેતુઓને આપણે ઉદ્દેશ, લક્ષ્ય કે ધ્યેય તરીકે ઓળખીએ છીએ. પરંતુ રોજે-રોજના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીના વર્તનમાં જે પરિવર્તન લાવવાના પ્રયત્નો કરીએ છીએ તેને આપણે શૈક્ષણિક હેતુઓ કહીશું. આ હેતુઓ અધ્યાપનના હોય છે. કોઈ ચોક્કસ તાસના શિક્ષણકાર્યમાં શિક્ષક એવું નક્કી કરે કે આ તાસમાં મારા અધ્યાપનના અંતે વિદ્યાર્થીઓમાં આટલા પરિવર્તનો આવશે તો તે દરેક પરિવર્તનને આપણે શૈક્ષણિક હેતુ કહીશું.
બીજી રીતે કહીએ તો કોઈ એક વિષયના શિક્ષણને અંતે વિદ્યાર્થી શું કરી શકશે તે અંગેની અપેક્ષા રાખવી એ જ શૈક્ષણિક હેતુઓ છે. માતૃભાષા શિક્ષણના અંતે વિદ્યાર્થી શું કરી શકશે તે અંગેની શિક્ષકની અપેક્ષા એટલે જ માતૃભાષાના શૈક્ષણિક હેતુઓ. જેના બે પ્રકાર પડે છે. (1) સામાન્ય હેતુઓ (2) વિશિષ્ટ હેતુઓ, જેના વિશે આ પ્રકરણમાં આગળ ચર્ચા કરીશું. તે પૂર્વે હેતુઓનું મહત્ત્વ સમજીએ.
શૈક્ષણિક હેતુઓનું મહત્ત્વ
આપણે જાણીએ જ છીએ કે કોઈપણ પ્રવૃત્તિનું આરંભબિંદુ તેના હેતુઓ તેવી જ રીતે શિક્ષણની પ્રક્રિયામાં પણ હેતુઓનું મહત્ત્વ છે જ. શિક્ષણની પ્રક્રિયા માટે હેતુનું મહત્ત્વ નીચેની રીતે જણાવી શકાય.
- શિક્ષણકાર્યને સરસ અને સફળ બનાવવા માટે હેતુ અનિવાર્ય છે.
- શિક્ષણ પ્રક્રિયાનું આરંભબિંદુ એ શૈક્ષણિક હેતુઓ છે.
- વિષયવસ્તુ શીખવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો તેનો આધાર શૈક્ષણિક હેતુઓ છે.
- શિક્ષક વર્ગમાં વિષયવસ્તુ શીખવવા માટે કઈ કઈ પ્રવૃત્તિઓનો ક્યારે અને કેટલીવાર ઉપયોગ કરશે તેનો આધાર પણ શૈક્ષણિક હેતુ છે.
- વર્ગમાં ક્યા ક્યા સાધનો કે શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરવો તેનો આધાર એટલે શૈક્ષણિક હેતુ.
- શિક્ષણ પ્રક્રિયાના અંતે મૂલ્યાંકન કેવી રીતે કરવું ? શેનું મૂલ્યાંકન કરવું ? વગેરેનો આધાર શૈક્ષણિક હેતુ ૫૨ ૨હેલો છે
- શિક્ષણના અનેક સોપાનોનો આધાર શૈક્ષણિક હેતુઓ છે.
- શૈક્ષણિક હેતુઓ જ શિક્ષણ પ્રક્રિયાનું નિયમન કરે છે.
- શૈક્ષણિક હેતુઓ જ શિક્ષણકાર્યને ચોક્કસ દિશા આપે છે. (જો શૈક્ષણિક હેતુઓ
- નક્કી ન હોય તો વિષયવસ્તુને જ પ્રાધાન્ય મળે, વિદ્યાર્થીના વર્તનને નહીં.)
- પાઠ્યકેન્દ્રી શિક્ષણને બદલે વર્તનકેન્દ્રી શિક્ષણ બનાવવા શૈક્ષણિક હેતુ જરૂરી છે.
- શિક્ષણ પ્રક્રિયાની સાચી સમજ માટેનો આધાર શૈક્ષણિક હેતુઓ છે. અધ્યયન અધ્યાપનની ગુણવત્તાની ચકાસણી કરવા શૈક્ષણિક હેતુઓ જરૂરી છે.
ટૂંકમાં, શિક્ષણના આયોજન,
અમલીકરણ, મૂલ્યાંકન અને સુધારણા માટે શૈક્ષણિક હેતુઓ અત્યંત મહત્ત્વનાં છે. જેના વિના શિક્ષણરૂપી નાવ ડૂબી જશે.